Monday, September 10, 2018





ચાલો કારણ આપીએ




     આજે “suicide Prevention Day”  છે. ગયા વર્ષે DR. મૌલિક શાહ સાથે “Ventilation” નામની શોર્ટ ફિલ્મ બનાવવાની પ્રક્રિયામાં ભાગ લીધો. એ ફિલ્મ સુસાઈડ કરવા જઈ રહેલા વ્યક્તિને અણીના સમયે સપોર્ટ આપવા વિષે હતી. એ ફિલ્મ વિષે જયારે બોલવાનું આવ્યું, ત્યારે એક બહુ જૂની પણ હંમેશા પ્રસ્તુત એવી એક નાનકડી વાર્તા કાયમ બધાને કહેલી.. આ રહી એ નાનકડી વાર્તા.

       “એક માણસ પોતાની જિંદગીથી ખૂબ કંટાળી ગયો. કોઈ એક દિવસ સવારે ખૂબ નિરાશામાં આવીને એણે શહેરના તળાવમાં કૂદીને જીંદગીનો અંત લાવવાનું નક્કી કરી લીધું. અને એ પોતાના ઘરેથી તળાવ તરફ જવા નીકળી પડ્યો. હા, એક વાત એણે નક્કી કરી કે ઘરથી તળાવ સુધીના રસ્તમાં એને કોઈ એવું મળશે કે જે એની સામે પ્રેમથી સ્મિત કરશે તો એ એમ માનશે, કે દુનિયામાં કોઈ તો છે એનું, અને એ મરવાનું માંડી વાળશે.
     એ માણસનું શું થયું એ પછી વિચારીએ, પહેલા એ વિચારો કે જો તમે એ દિવસે એને સામા મળ્યા હોત, તો તમે એને જીવતા રહેવાનું કારણ આપી શકત ખરા?”

     આ મને બહુ ગમતી વાર્તા છે. સહેજ થોભીને વિચારીએ તો ખરા, એક માણસ છે, સાવ અજાણ્યો, જિંદગીથી ત્રસ્ત.. એ સાવ મારવાના ઈરાદે જતો હોય, અને તમે એને સામા મળો. બની શકે એ એ પોતાના બેધ્યાનપણામાં તમારા વાહન સાથે અથડાયો. તમારો નવો શર્ટ એના કારણે બગડી ગયો, તમને એ રસ્તા પર ચાલવામાં સતત નડ્યા કર્યો, તમે એની સામે પ્રેમથી સ્મિત કરી શકશો? તમે એને જીવવાનું કારણ આપી શકશો? 

    આ તો કોઈ એક રેન્ડમ અજાણ્યા માણસની વાત છે, પણ ધ્યાન રાખો, આપણને દિવસમાં મળતા અનેક માણસો, આપણા પરિવારના સભ્યો, આપણી કામ કરવાની જગ્યા પર મળતા આપણાથી નીચી પોસ્ટ પર કામ કરતા લોકો કે આપણા બોસ, આપણા ઘરમાં કામ કરવા આવતો વ્યક્તિ, આપણો વિદ્યાર્થી કે આપણા શિક્ષક. દરેક માણસ પોતાની કહાની સાથે લઈને જીવતો અને ચાલતો હોય છે. સવારમાં પત્ની સાથે થયેલો ઝગડો કે ૨ મહિનાથી ન થયેલો પગાર. ગમતા મિત્રએ ઠુકરાવી દીધેલો પ્રેમપ્રસ્તાવ કે મહિનાઓના પ્રેમસંબંધ પછી થયેલું બ્રેકઅપ, બિમાર માતા કે પિતાનું અચાનક થઇ ગયેલું અવસાન. તમને એ મળે છે કે તમારી સામે એ આવે છે, ત્યારે એ કઈ કહાની એના મનમાં ભરીને આવ્યો હશે એ તમને નથી ખબર. તમે ય તમારી કોઈ કહાની મનમાં લઈને ચાલતા હશો, પણ એ જે કઈ છે એમાં સામા વ્યક્તિનો કોઈ દોષ નથી. એક આટલું ધ્યાન રાખીને પરસ્પર વર્તન રાખતા થઈએ તો ય આપણી આજુબાજુના અનેક લોકોને નિરાશામાં પાડવામાં આપણે નિમિત્ત ન બનીએ.

     એક વાત હંમેશા સ્ટાફમેમ્બર્સ અને કલીગ્સને કહી છે કે માણસ પોતાના જીવનનો બેસ્ટ પટ પોતાની જોબ/વ્યવસાય પર કાઢતો હોય છે. પોતાની જિંદગીના Most Productive કલાકો! આ સમય દરમિયાન એકબીજા સાથે સહકારથી વર્તી શકીએ તો કોઈને હતાશામાં સારી જતા બચાવી શકીએ.એટલું કરવામાં બહુ ઝાઝી તકલીફ નથી પડતી. કોઈને જીવવાનું નહિ તો ય હસવાનું કારણ તો આપી જ શકાય છે.


     
       


No comments:

Post a Comment

નટસમ્રાટ

  નટસમ્રાટ (મરાઠી) નું વિકી પેઈજ ખોલીએ તો એની ઈન્ટ્રોનું પહેલું વાક્ય છે, "it is a tragedy about a Shakespearean veteran actor Ganpat...