Tuesday, September 8, 2020

નટસમ્રાટ

 

નટસમ્રાટ (મરાઠી) નું વિકી પેઈજ ખોલીએ તો એની ઈન્ટ્રોનું પહેલું વાક્ય છે, "it is a tragedy about a Shakespearean veteran actor Ganpat Ramachandra Belvalkar". એક એવા કલાકારની વાત જેણે એના સમયમાં શેક્સપિયરના ઘણા નાટકોમાં કામ કરેલું.. શેક્સપિયરના ઘણા બધા નાટકો 'શેક્સપિરિયન ટ્રેજડી' તરીકે ઓળખાય છે. એ અને એ સમયની ટ્રેજડીની ખાસિયત એ હતી કે એમાં ખૂબ સફળ, ઉચ્ચપદધારી નાયક હોય, પણ એનામાં એની કોઈ સારી બાજુનો એટલો અતિરેક હોય, કે એ અતિરેક એને ભાન ભુલાવે,  અને એનાથી એની કરુણ પડતી અથવા કરુણાંત થાય. જેમકે કોઈ કામ વિચારીને કરવું એ સારી વાત છે, પણ હેમલેટ વિચાર્યા જ કરે અને સમય નીકળી જાય. ઓથેલો બહુ ઝડપી નિર્ણય કરે, પણ એમાં જ કંઈ વિચાર્યા વિના ડેસડેમોનાને મારી નાખે.. આ એક નિશાનચૂકને Hamartia કહેવાતું જેનો ઉપયોગ સર્વપ્રથમ એરિસ્ટોટલે કર્યો હોવાનું મનાય છે. 

                        ****************

નટસમ્રાટમાં આમ જોઈએ તો મહાન કલાકાર (ટાઈટલમાં જ આવે છે, અસા નટ હોણે નાહી), એની અભિનયકલા એ એનો ગુણ છે પણ થાય છે એવું કે એ નિવૃત્ત થઈને ય એ અભિનય અને થિયેટરમાંથી અને પોતાની નટસમ્રાટની પદવીમાંથી બહાર નથી આવતો અને એની પડતી થતાં થતાં કરુણાંત થાય છે એ જોઈને એવો ય વિચાર આવે કે જેવી ટ્રેજડી એણે જીવનભર ભજવી, એ જ એની ખુદની પણ નિયતિ બની.!!

ફિલ્મ શરૂ થાય છે એક કીટલી પર ચા આપનારનું કામ કરતા વૃદ્ધ ગણપતરાવથી. ચા પીવા આવનાર કાયમી ગ્રાહકો એને બાબા તરીકે ઓળખે છે. પહેલા જ જેને એ ચા આપે છે એ પૂછે છે "બાબા કેવો રહ્યો દિવસ?" બાબા કહે છે, "મંદિર બનાવવા જેવો રહ્યો. કામ પૂરું થયું એનું દુઃખ છે, પણ બાંધકામ પૂરું થયું એનો આનંદ. દુઃખ અનિવાર્ય છે, તેથી આનંદ છે." 

બાબા કામ કરતા કરતા સ્વગત જ સંવાદો બોલતા રહે છે, ત્યાં બેઠેલો એક મોર્ડન લાગતો યુવાન પૂછે છે, "સિઝર કે બ્રુટસ?" બાબા કહે છે શું છે ? કેમ મને હેરાન કરે છે? પેલો યુવાન ચા માગે છે, અને બાબા એને ચા આપતા આપતા પણ સંવાદ મનમાં બોલતા રહે છે.. પેલો યુવાન તેમની પાછળ ગરીબ જણાતી બસ્તી સુધી જાય છે.. એટલે બાબા ગુસ્સે થઈને પૂછે છે , કેમ મારો પીછો કરે છે? યુવાન કહે મને તમને મળવું ગમે છે. એ પૂછે છે બાબા તમે મને તમારું નામ કહેલું એ હું ભૂલી જ ગયો છું. ચતુર બાબા કહે, મારી પરીક્ષા કરે છે? યુવાન કહે મને સાચે જ યાદ નથી. બાબા કહે છે સાચું અને ખોટું શું છે એ કોણ જાણે છે.. મારું નામ કેશવ મુરવાડીકર છે. હું વડોદરાનો છું. અમારે 40 વર્ષથી નાટયગૃહમાં કેન્ટિનનો ધંધો છે, એને કારણે આ મહાનુભાવો સાથે મારી મુલાકાતો થતી..

યુવાન કહે છે તમે મને મળવાની ના ન પાડતા. બાબા કહે છે તું મારો પીછો કરીશ તો હું ગામ છોડીને જતો રહીશ. યુવાન કહે હું તમને શોધી લઈશ.. 

બાબા પૂછે છે, શું નામ છે તારું? શું કરે છે તું. ? યુવાન કહે સિધ્ધાર્થ, બાબા સ્વગત બોલે, જ્ઞાન વડે પ્રકાશિત.. .

સિદ્ધાર્થ કહે છે કે એણે બી. ટેક. કર્યું છે અને 7-8 વર્ષ અમેરિકામાં નોકરી કરી છે,પણ હવે એ પાછો આવ્યો છે કેમકે એનો પ્રેમ તો થિયેટર છે.. 

અને બાબા સ્વગત બોલી પડે છે, હે ભગવાન તું અમારામાંના કોઈકને આવું પાગલપન શા માટે આપે છે. ? 

આટલા એક સાડા ત્રણ મિનિટના દ્રશ્યમાં દર્શકના મનમાં ગણપતરાવનું પાત્ર સ્પષ્ટ થઈ જાય..

#નટસમ્રાટ

No comments:

Post a Comment

નટસમ્રાટ

  નટસમ્રાટ (મરાઠી) નું વિકી પેઈજ ખોલીએ તો એની ઈન્ટ્રોનું પહેલું વાક્ય છે, "it is a tragedy about a Shakespearean veteran actor Ganpat...