Wednesday, August 29, 2018

વર્તમાન પરિસ્થિતિમાં મહિલાઓનું કર્તવ્ય


વર્તમાન પરિસ્થિતિમાં મહિલાઓનું કર્તવ્ય


        વર્તમાન પરિસ્થિતિમાં મહિલાના કર્તવ્યની વાત કરીએ ત્યારે પહેલા તો એ વિચાર આવે કે મહિલાઓના હક્કોની વાત દરેક યુગમાં થઇ હોય કે ન હોય, કર્તવ્યની વાત “સંભવામિ યુગે યુગે” છે. પદ્મપુરાણમાં કહેવાયું કે “ કાર્યેષુ મંત્રી કરણેષુ દાસી, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા” તો મનુસ્મૃતિમાં સ્ત્રીની ફરજો વિષે કડક શબ્દોમાં આકાંક્ષાઓ રાખવામાં આવી છે. મહાભારતમાં કહેવાયું છે કે “પતિવ્રતા સ્ત્રીઓ પતિના શયન કર્યા પછી શયન કરે છે, અને ભોજન સ્ન્નાન ઈત્યાદિ પણ પતિ કરે પછી કરે છે.” સ્ત્રીના જીવનના તમામ તબક્કાઓ માટે શાસ્ત્રોમાં બહુ મોટી અને કઠિન આચારસંહિતાઓ અપાયેલી છે.અને આપણે પણ વર્તમાન એટલે કે આધુનિક સમયમાં મહિલાના કર્તવ્ય ની વાત કરવા માંગીએ છીએ. કારણકે સ્ત્રી એ કોઈ પણ સમાજનો આયનો છે અને સ્ત્રી માતા પણ છે એટલે સમાજના ભાવિના ઘડતરનો ભાર પણ ઘણા અંશે સ્ત્રી પર છે.

                આધુનિક સમયમાં જોઇએ તો જૂનવાણી સમાજના અનેક બંધનોમાંથી સ્ત્રી બહાર આવી ગઈ છે. શિક્ષણ, આર્થીક જરૂરિયાત અને સ્વાતંત્ર્ય પ્રત્યેની જાગૃતિને કારણે આધુનિક સમયમાં કોઈ ક્ષેત્ર એવું નથી રહ્યું કે જ્યાં સ્ત્રી કાર્યરત ન હોય. અને આમ જુઓ તો આ વ્યવસ્થાએ સ્ત્રીને સમાનતાનો આનંદ આપ્યો એની ના નહિ, પણ એકંદરે સ્ત્રીની જવાબદારીઓ બેવડાઈ ગઈ છે. આ ઉપરાંત પણ સતત અને ઝડપથી  બદલાઈ રહેલા સમયમાં મહિલાઓનું કર્તવ્ય શું હોઈ શકે એ વિષે જોઇએ.

                સહુથી પહેલા તો સ્ત્રીઓનું કર્તવ્ય છે કેળવણી લેવાનું! વર્તમાન સમયમાં જીવનની “મુખ્ય” જરૂરિયાતો જ એટલી વધી ગઈ છે અને કુટુંબનિર્વાહ, શિક્ષણ વગેરે બધેજ મોંઘવારી એટલી થઇ ગઈ છે કે સ્ત્રીએ અર્થોપર્જન માં મદદ કરવી જ રહે. શિક્ષણ અથવા કોઈપણ પ્રકારની વ્યવસાયિક તાલીમ દરેક મહિલાએ લેવીજ જોઇએ, જેથી પરિવારને મદદરૂપ થઇશકાય ઉપરાંત, આધુનિક સમયમાં ડીવોર્સનું પ્રમાણ પણ વધ્યું છે એટલેકે આર્થીક સ્વતંત્રતા મેળવવી એ સ્ત્રીનું પોતાની જાત માટેનું પહેલું કર્તવ્ય ગણી શકાય.

          પોતાની જાત પછી કુટુંબ તરફ પણ સ્ત્રીનું કર્તવ્ય છે કારણ કે સ્ત્રીને હોમમેકર ગણવામાં આવે છે. આધુનિક સ્ત્રીએ શિક્ષિત થવાની સાથોસાથ updated પણ રહેવાનું છે. સમય એટલો ઝડપથી બદલાઈ રહ્યો છે અને નવાનવા ગેજેટ્સ માર્કેટમાં  આવી રહ્યા હોય ત્યારે “ મને આ ના આવડે” એમ કરીને બેસી રહેવાથી નહિ ચાલે. તમારા સંતાનો સાથે સંવાદ કરવો હશે તો તમારે એમની ભાષા શીખવી પડશે. એમના વર્તનને સ્વીકારતા શીખવું પડશે. ઘરના અને બહાર ના કામો અને પોતાની નોકરી કે વ્યવસાય કરતા કરતા કુટુંબમાં તાલમેલ રાખતા રહેવું એ મહિલા પરનું આધુનિક સમયનું મોટું  કર્તવ્ય છે. થોડા સમય પહેલા પેપ્સીકો ના ભારતીય CEO ઈન્દ્રા નુયીએ જાહેરમાં કબુલ કરેલું કે તેઓ આવડી મોટી કંપનીમાં એટલા મોટા પદ પર હોવા છતાં ઘરની અમુક જવાબદારીઓમાંથી મુક્ત રહી નહોતા શક્યા. મતલબ આધુનિક સમયમાં મહિલાઓનું ઘર પરિવાર પરત્વે કર્તવ્ય તો રહે જ છે. બસ અગાઉ કરતા એનો પ્રકાર બદલાયો છે. 

        ઉપરાંત આધુનિક સમયમાં સ્ત્રીનું કર્તવ્ય છે જુના રીત રીવાજો અને માન્યતાઓમાં થી મુક્ત થવાનો. મેન્સીસ એ એક કુદરતી ઘટના છે . એ દરમ્યાન સ્ત્રી કોઈપણ ધાર્મિક કાર્ય ન કરી શકે એ ગેરમાન્યતા છે. આધુનિક સ્ત્રીએ એમાંથી બહાર આવવું જ રહ્યું. આ ઉપરાંત સંતાનમાં પુત્ર જ જોઇએ એવી માન્યતા પોતે ધરાવવી કે પતિ અથવા કુટુંબની એ માન્યતાને વશ થઈને સ્ત્રીભ્રૂણહત્યા કરવા તૈયાર ન થવું એ આધુનિક સ્ત્રીનું આજના સમયનું સૌથી મહત્વનું કર્તવ્ય છે. સ્ત્રી વિધવા થાય એટલે એણે રંગીન કપડાં કે શ્રુન્ગાર નો ત્યાગ કરવો એ માન્યતા તો આધુનિક સમયમાં ઓછી થઇ રહી છે પણ વિધવા સ્ત્રી કોઈ શુભ પ્રસંગે આગળ પડતો ભાગ ન લઇ શકે એ માન્યતામાંથી પણ સ્ત્રીએ જ બહાર આવવું પડશે.

        હાલના સમયમાં મહિલાઓ પર અત્યાચાર અને બળાત્કારોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે ત્યારે ઘણી વાર એવું જોવા મળે છે કે બળાત્કાર ની પીડિતા તરફ જ આંગળી ચિંધાય છે. એણે અમુક પ્રકારના કપડાં ન પહેરવા જોઈએ અથવા એવા સમયે અમુક જગ્યાએ ન જવું જોઈએ, એ પ્રકારની વાતો થવાના બદલે એ મહિલાને સંવેદનાપૂર્વક જોવામાં આવે અને એ સામાન્ય જીવન જીવી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આધુનિક મહિલાઓ ખૂબ મોટું યોગદાન આપી શકે. 

        સમયને અનુરૂપ મોર્ડન થવામાં સ્ત્રીઓ પોતાના સ્વભાવની લાક્ષણિક એવી સ્ત્રીસહજ ઈર્ષ્યાથી મુક્ત થઇ, તમામ સ્ત્રીઓને એક તંદુરસ્ત સમાજ આપે એ પણ મહિલાઓ નું જ કર્તવ્ય છે. અને સ્ત્રી સ્વાતંત્ર્યના આ દોરમાં પોતાને મળેલી સ્વતંત્રતાને સ્ત્રી પોતાની વિવેકબુદ્ધિથી વાપરીને પોતાના હિતમાં વાપરે એ ખૂબ જરૂરી છે. અને એ સ્વતંત્રતાનો પોતે કે કોઈ અન્ય ગેરલાભ ન લઈ શકે એ ચતુરાઈ પણ આધુનિક સ્ત્રીએ કેળવવી જ જોઈએ. 

        સ્ત્રીને પહેલા થી જ શક્તિ નું સ્વરૂપ માનવામાં આવી છે અને એટલે જ સ્ત્રી તમામ કર્તવ્યો સફળતાથી નિભાવી શકશે એવા વિશ્વાસ સાથે જ હંમેશા સ્ત્રી પર કર્તવ્યનો બોજ રાખવામાં આવ્યો છે. આધુનિક સમયની સ્ત્રી પોતાની સ્વતંત્રતાનો રચનાત્મક ઉપયોગ કરીને સ્વયંના વ્યક્તિત્વ થી માંડીને પોતાના કુટુંબ, બાળકો, સમાજ, દેશ અને વિશ્વમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે. ઈતિહાસ સાક્ષી છે કે સ્ત્રીઓના અહંના કારણે નાના નાના ઝગડાઓ થયા હશે, પણ પુરુષોના અહંને કારણે વિશ્વયુધ્ધો થયા છે. હાલમાં જયારે દુનિયામાં કોઈ પણ કાર્યક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રી પુરુષોની સમકક્ષ કે એમનાથી પણ ચડિયાતી થઈને ઉભરી આવી છે. એક સમયે ઘર અને રસોડામાં જ સમાઈને રહી ગયેલી સ્ત્રીનો વ્યાપ હાલ ના સમયમાં જયારે અન્તરિક્ષ સુધી પહોચી ગયો છે ત્યારે એક એવા સમયની કલ્પના કરવી અશક્ય નથી કે જ્યાં મહત્તમ સત્તાઓ મહિલાઓ ના હાથમાં હોય અને એક સુંદર. સુચારુ, સુવ્યવસ્થિત, સહિષ્ણુ સમાજ અને વિશ્વની સ્થાપના કરી શકાય. 




6 comments:

  1. Wow... just loved it.... beautifully written covering all the current situation.😊❤️

    ReplyDelete
  2. અદભૂત...સુંદર આર્ટિકલ...

    ReplyDelete
    Replies
    1. ખૂબ આભાર સાહેબ, તમારા માર્ગદર્શનથી બન્યો બ્લોગ.. :)

      Delete

નટસમ્રાટ

  નટસમ્રાટ (મરાઠી) નું વિકી પેઈજ ખોલીએ તો એની ઈન્ટ્રોનું પહેલું વાક્ય છે, "it is a tragedy about a Shakespearean veteran actor Ganpat...